સોમવાર, 31 મે, 2021

અખંડ વારસો લોક ભવાઇ



લુપ્ત થયા ઘણા વારસા અને વ્યવસાય,સમય તણા પ્રવાહ માં,

આજે ભવાઇ થઇ રહી સવાઇ,  આ છે પુરાવા ભગવતી ના પ્રમાણ ના


નથી માત્ર લોક વારસો,છે આશિષ ઉમિયા માત ના,

શિયાળ બચાવવા દિકરી નુ,વટલાય ગયા જાત માં ,


વરદાન સાથે વ્યવસાય, માત્ર એક ભવાઇ તણા સાથ માં,

જન જાગૃતિ અને સત્યતા પીરસી,અમે ભવાઇ ની સંગાથ માં,


છે ઉજળા ઇતિહાસ નો ગર્વ  અમને,આજ પણ નિજ જાત માં 

"રાજ " વડવા ઓ કંઇક ખપી ગયા,સમાજ સુધારણા કાજ માં


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

રવિવાર, 30 મે, 2021

ભવાઈના ઉપયોગ કઈ રીતે થઈ શકે!?!?



ભવાઈના ઉપયોગ વ્યક્તિનું સમષ્ટિમાં વિલિનીકરણ એ કલાની સર્વોચ્ચ સિદ્ધિ છે . ભવાઈને વિસ્તૃત કરી તેને પ્રાદેશિકતાની સંકુચિતતાંમાંથી બહાર કાઢી તેનો લોકજાગૃતિમાં , લોકશિક્ષણના માધ્યમ તરીકે રાષ્ટ્રના ઉત્થાન માટે ફરીથી ઉપયોગ કરી શકાય તો તે એક અતિ ઉપયોગી સાધન - મીડિયા બનશે . ઉપરાંત ભવાઈ જીવંતતા - તાજગી પ્રાપ્ત કરી શકશે . અત્યારે નશાબંધી તેમ જ કુટુંબકલ્યાણના પ્રચાર કાર્ય માટે ભવાઈ ફોર્મનો ઉપયોગ થાય છે પણ તેનો વ્યાપ ટૂંકો છે . કટોકટી પછીના એક સમયમાં મતદારોને જાગૃત કરવા માટે , મતદાન માટે જાગૃત કરવા માટે , કેટલાક શિક્ષિત યુવાનોએ ભવાઈ ફૉર્મ પરથી ‘ સ્ટ્રીટ પ્લે ના ગામેગામ શૉ કરી મતદાન માટે લોકોને જગાડવાનો સારો પ્રયત્ન કર્યો હતો . વિદેશોમાં સમાજના પ્રશ્નો તરફ લોકમત જાગૃત કરવા આ જાતના પ્રયોગો થતા જ હોય છે . આપણી સ્વાયત્ત સંસ્થાઓ પણ નિરક્ષરતા , ભ્રષ્ટાચાર , દહેજ , ગુનાખોરી ત્રાસવાદ , નફાખોરી , કાળાબજાર , દાણચોરી , વવિક્રય જેવા કેટલાયે સળગતા પ્રશ્નો પરત્વે લોકમત કેળવવા આ ભવાઈ કલાનો ઉપયોગ કરી શકે . ભારત તેનાં ગામડાંમાં વસેલું છે . ગ્રામીણ પ્રજા હજુયે ભવાઈ ને લાગણીથી છે જુએ છે . સરકાર , સરકારનું પ્રચાર તંત્ર , ટેલિવિઝન , રેડિયો , અખબારો આ બધાં માધ્યમો ગ્રામીણ જનજાગૃતિ માટે , પ્રૌઢશિક્ષણ માટે , ભારતીય સંસ્કૃતિ માટેની જાગૃતિ અને જાળવણી માટે , અજ્ઞાનતા પ્રત્યે આંગળી ચીંધવા માટે ભવાઈનો સારામાં સારો ઉપયોગ કરી શકે જેથી અનેક ઉમદા હેતુઓ સરશે . ભવાઈનું સામાજિક પુન : પ્રતિષ્ઠા સ્થાપન થશે . લોકોને ભવાઈમાં રસ વધશે . કલાકારોનો ઉત્સાહ જળવાઈ રહેશે અને અમુક અંશે આર્થિક સદ્ધરતા મળતાં ભવાઈ કલાની જીવંતતા વધશે . સંભવિત બીજા ભયસ્થાનોને નજર સામે રાખીને તેનાથી ચેતતા રહીને પણ ભવાઈ ને જીવંત રાખવા તેનો રાષ્ટ્રીય ઉત્થાનમાં ઉપયોગ કરવો રહ્યો .

ભવાઈ -પહેલાનો સમય અને આજનો સમય

 


 ભવાઈની ઉત્પત્તિ આશરે સાડાસાતસો વર્ષ પહેલાં થઈ ત્યારથી સમાજમાં ભવાઈનું નિશ્ચિત સ્થાન રહ્યું છે . ગ્રામીણ સમાજમાં ભવાઈ કલાકારો માટે લાગણી હતી . ગામડાં ભવાઈ કલાકારોને નિભાવતા , સારા - માઠા પ્રસંગે તેમને મદદ કરતા અને તેમના વટ - વહેવાર જાળવીને ભવાઈને જીવાડતા . સામા પક્ષે ભવાઈ કલાકારોને યજમાન ગામોમાં યજમાન કુટુંબો સાથે ભાવાત્મક એકતાની લાગણી હતી . યજમાન ગામનો પાડો પણ ગુજરી ગયો હોય તો ભવાઈ - રમત બંધ રહેતી . યજમાન - ગામને બચાવવા ભવાયાએ પ્રાણ ન્યોછાવર કર્યા હોવાનાં ઉદાહરણ પણ છે . વળી ભવાઈ કલાકારોમાં ગુજરાતી રંગભૂમિને સારા સારા કલાકારો પ્રાપ્ત થયા છે . ગુજરાતી રંગભૂ મિનો ઇતિહાસ તપાસીશું તો તેમાં નાયક , ભોજક અને તરગાળાઓએ ઉચ્ચ કલાકારો પૂરા પાડ્યા દેખાશે . ભવાઇની આજ એટલી ઉજજવળ નથી . ગામડાંમાંથી ખેડૂત સમાજ શહેરો ભણી જાય છે . આ સમાજને જુનું ગમતું નથી તેથી ગામડાં , ગ્રામીણ સંસ્કૃતિ સાથે તેમનું માનસિક તાદામ્ય તૂટતું જાય છે . સિનેમાની સામે ભવાદ ટકી શકતી નથી . આમ યજમાનોની વિરકતી અને સબળ હરીફો - અન્ને પરિબળો ભેગાં થવાથી ધીમે ધીમે ભવાઈ થિયેટર તૂટતું જાય છે . ત્રીજું અને મહત્વનું પરિબળ ભવાઈ કલાકારોનું પોતાનું માનસિક પરિવર્ત ન છે . રાતોની રાતોના ઉજાગરા , સતત મુસાફરી , અગવડભરી જિંદગી , ઘરથી દૂર રહેવું અને યજમાનવૃત્તિની અનિશ્ચિત આવકથી કંટાળી ભવાઈ કલાકારો પોતે જ ભવાઈ રમવાની છોડી દઈ , નાની - મોટી નોકરી ધંધામાં લાગી જાય છે . શહેરમાં ગયેલા , ભણેલા , નોકરિયાત ભવાયા - નાયકને પોતાની જ્ઞાતિ અને ભવાઈનો વ્યવસાય નિમ્ન કોટિનો લાગે છે . આમ ખુદ ભવાઈ કલાકારનો જ ભાઈ , પુત્ર કે પૌત્ર ભવાઈથી દૂર થતો જાય છે અને ભવાઈને ધિક્કારતો થઈ જાય છે . ઘણા બધાં ભવાઈ મંડળો નાશ પામ્યાં છે . કેટલાંયે મંડળો ભાંગતાં જાય છે . સંકુચિત મનોવૃત્તિ , કોમની આંતરિક ઈર્ષા , ટૂંકી દષ્ટિને લીધે મંડળો તૂટે છે . યજમાનોનો સબળ ટેકો ન હોવાથી ફરીથી ઊભા થઈ શકતા નથી . પૂરતું ઉત્તેજન ન મળવાથી ભવાઈમાં રસ રહેતો નથી . યુવાન પેઢીને ભવાઈ રમવી નાપસંદ છે . સખત મહેનત , સતત તકેદારી , અભિનયની ઉગ્રતા માટે જહેમતની તૈયારી નથી . ભવાઈની આવતી કાલ અતિ ધુંધળી છે . સમાજ કલાકારોને નિભાવી ન શકે તો કલાને રાજ્યાશ્રય મળવો જોઈએ . જે અત્યારના સંજોગોમાં બહુ આધાર રાખી શકાય તેવું નથી . ભવાઈ કલાકારોને શિષ્યવૃત્તિ , ભવાઈ ભંડળોને સાધનસામગ્રીની મદદ , ભવાઈ કલાકારોને સાધન સરંજામની મદદ , ઉત્તેજન માટે વિશિષ્ટ પારિતોષિકોની યોજનાઓ — આ બધામાં અમારી છેલ્લાં દસ વર્ષની સખત મહેનત છતાં પણ ભવાઈની આવતી કાલ ઉજજવળ જોઈ શકાતી નથી . ભવાઈ કલાકારોમાં પોતાના ધંધા પ્રત્યે ઉદાસીનતા પ્રગટતી જાય છે . નાના બાળકો ભવાઈના વ્યવસાયમાં આવવા ઉસુક નથી તેથી ભવિષ્યમાં સારા ભવાઈ કલાકારો મળવા મુશ્કેલ થશે . સારા સારા મંડળના નાયક પણ પોતાનાં સંતાનોને ભવાઈમાં લાવવા કરતાં નોકરી કે ધંધો કરાવવાનું વધુ પસંદ કરતા હોવાથી પણ નવા કલાકારી મળવા મુશ્કેલ બનશે . આમ ભવાઈ - પરંપરા વિશે અતિ ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે .

સંકલન- પૈજા તુષારભાઈ(વ્યાસ) 

મોરબી,ગુજરાત

ભવાઈમાં રંગભૂષા વિશે માહિતી

 

ભવાઈમાં રંગભૂષા ભવાયા સામાન્યતઃ ગામડાંમાં વધુ રમે છે . ગામડાંમાં રમતી વખતે રંગભૂષાની તેઓની પરંપરાગત રીતે જાળવી રાખે છે . રંગભૂષાના સાધનોમાં અરીસો , ઓરસિયો , કાંસાની વાટકી , મેશ બોદાર , ગુલાલ , કંકુ , શંખજીરું ,મીઠા તેલનો દીવો , મગફળીનું તેલ , મૂછ , દાઢી , જટા , ગુંદ , વાળની વીગ ( ક્યારેક ) રૂના કે કપડાંના દડા , ગળી વગેરે વાપરે છે . પરિચય મેળવીએ.....

ઓરસિયો : પથ્થરના ગોળાકાર , ખરબચડા ઓરસિયાની જરૂર બોદાર ઘસવા માટે છે . આખા મંડળ વચ્ચે એક જ ઓરસિયો હોય છે . માતાની સ્થાપના કરી હોય ત્યાં જ ઓરસિયો રાખવામાં આવે છે ત્યાં જ પાણી ભરેલું પાત્ર રાખવામાં આવે છે . પાત્રમાંથી પાણી લઈ ઓરસિયા પર બોદાર ઘસવામાં આવે છે . 

વાટકી : કાંસા કે પિત્તળની વજનદાર વાટકી મેકઅપનું અગત્યનું સાધન છે . માતાની સ્થાપના વખતે ત્યાં તેલનો દીવો કરવામાં આવે છે જ્યારે મેક - અપમાં મેશની જરૂર હોય તે વખતે પિત્તળની કે કાંસાની વાટકીમાં પાણી ભરી , તેને દીવા પર ધરી ચોકખી મેશ પાડી લેવામાં આવે છે . પરંપરાગત ભવાઈ કલાકારો હજુયે આંખમાં આંજવા , શંગાર સજવા આ મેશનો જ ઉપયોગ કરે છે . જો કે હવે કેટલાંક ભવાઈ કલાકારો તૈયાર કાજલની ડબીનો ઉપયોગ કરતા થયા છે .

બોદાર : પોચા પથ્થર તરીકે મળતો આ પદાર્થ ભવાઈ કલાકારોના મુખ્ય મેક - અપનો પદાર્થ છે . તે આછા ગુલાબી રંગનો ચળકતો પદાર્થ છે . તે ઝીંકનું અગત્યનું સંયોજન છે . વળી પાણી સાથે વાપરવાથી તે ચામડી પર કશી આડઅસર - સાઈડ ઈફેક્ટ ઉભી કરતો નથી . ઊલટું , ચામડીની સુંવાળપ વધારે છે . તે ચળકતો પદાર્થ હોવાથી ઝીંક - ઝરીની જરૂર પડતી નથી . અહીં એક બાબત નોંધપાત્ર છે . સામાન્યતઃ દરેક ભવાઈ કલાકાર પોતાના આભૂષણ , કપડાં , સાધનસામગ્રી પોતાની સ્વતંત્ર જ વાપરે છે , પણ આ બોદાર , મંડળના નાયક મંડળ માટે સમૂહગત લાવે છે . તે દરેક ભવાઈ કલાકારોનો અંગત હોતો નથી . બોદારને પથ્થરના ઓરસિયા પર પાણી લઈને ઘસવામાં આવે છે જ્યારે સુંવાળી પેસ્ટ તૈયાર થાય ત્યારે તેને ચહેરા પર થપથપાવતા થપથપાવતા લગાડવામાં આવે છે જેથી તે ચામડી સાથે એકરૂપ થઈ જાય છે અને યોગ્ય રીતે ખીલે છે . જેણે સ્ત્રી - પાત્ર કરવાનું હોય તે બોદારમાં થોડો ગુલાલ નાખે છે , જેથી ખીલતો ગુલાબી રંગ મળે છે . પુરુષ — પાત્ર કરતો કલાકાર ગુલાલ નાખ્યા વગર બોદાર વાપરે છે . બોદાર સમીસાંજે લગાવ્યો હોય તો પણ સવાર સુધી બીજી વાર મેક - અપની જરૂર પડતી નથી . ઊલટું , સમય જતાં જતાં બોદાર ખીલે છે . 

કંકુ : હોઠ રંગવા માટે , કપાળમાં ચાંદલો કરવા માટે તેમ જ હાથપગનાં તળિયા પર લાલી બતાવવા માટે કંકુનો ઉપયોગ થાય છે .

 ગુલાલ : જ્યાં વધારે ગુલાબી રંગ ખીલાવવા હોય ત્યાં પાણીમાં આછો ગુલાલ લસોટી , તેનાથી મેક - અપ કરી , તેના પર બોદારનો થર કરવાથી ગુલાબી ઝાંય મળે છે . સ્ત્રી પાત્ર લેતા કલાકારો બોદારમાં ગુલાલ નાખી ગાલ પર લાલી લાવે છે .

શંખજીરું : અમુક પાત્રોએ જ્યાં વૃદ્ધત્વ કે વિશેષ ભાવ દર્શાવવાના હોય ત્યાં ચહેરા કે શરીર પર સફેદ લીટીઓ - રેખાઓ તાણવાની જરૂર હોય ત્યાં શંખજીરું પાણીમાં ધોળાને ઉપયોગમાં લેવાય છે . અતિવૃદ્ધવ દર્શાવવા વાળ , મૂછને શંખજીરુંથી રંગાય છે .

   મેશઃ પાત્રની વધુ ઉંમર , વાર્ધક્ય દર્શાવવાનું પ્રતિનાયક ( વિલન ) નો ખંધો કે શયતાની ભાવ દર્શાવવા , રાક્ષસોનો મેક - અપ દર્શાવવા તેમ જ ડાગલા જ્વા પાત્રની હાસ્યસભર મુખાકૃતિ દર્શાવવા ચહેરાની રંગભૂષામાં મેશ વાપરવામાં આવે છે . 

ગળી : મેશના ઉપયોગની જેમ વાધય , ખંધાઈ , લુચ્ચાઈ , શયતાનિયત જેવા ભાવો દર્શાવવા મેક - અપમાં ગળીનો ઉપયોગ થાય છે તો કયારેક ગળીમાં શંખજીરું ઉમેરી તેનો ઉપયોગ કરવામાં આવે છે . 

મીઠું તેલ  ઃ મેક અપ ઉતારવા માટે મીઠા તેલ કે મગફળીના તેલનો ઉપયોગ થાય છે 

. મૂછ , દાઢી , જટા , વાળની વીગ ,નારીપાત્ર

પાત્રની જરૂરિયાત પ્રમાણે બનાવટી મૂછ – દાઢી વાપરવામાં આવે છે . દા . ત . કાયદેસરના પાત્રમાં , રાવણના પાત્રમાં , ઝંડાના પાત્રમાં કલાકાર મૂછ વાપરે છે . વળી ઋષિઓના પાત્રમાં , મુસ્લિમ પાત્રોમાં – દા . ત . ઝંડી , છેલબટાઉ , જૂઠણ , મિયાંના પાત્રમાં દાઢીનો ઉપયોગ કરે છે . સાધુ ( બાવાનો વેશ ) , વિશ્વામિત્ર ( હરિશ્ચંદ્રનો વેશ ) , જસમા ઓડણમાં ઋષિ , રાવણ સીતાહરણ કરતી વખતે સાધુના વેશમાં જટાનો ઉપયોગ કરે છે . સાધનસંપન્ન કલાકારો પાત્ર પ્રમાણે વીગનો ઉપયોગ કરે છે . ખાસ કરીને નારદના પાત્રમાં ઊંચી ચોટલીવાળી વીગનો ઉપયોગ કરાય છે .   

ભવાઈમાં પુરૂષ - પાત્રો જ સ્ત્રી - પાત્રોનો રોલ કરે છે . સ્ત્રી – પાત્ર કરનાર કલાકારને કાંચળિયા કહેવાય છે . કાંચળિયા કાંચલીમાં – બ્રેસિયર્સમાં કપડાંના કે રૂના બૉલ ભરાવી તેના પર બ્લાઉઝ કે પાત્ર પ્રમાણેના પરિધાન આધુનિકતાની અસર તળે ધણા ભવાઈ કલાકારો તૈયાર મેક - અપ વ્હાઈટનિંગ , લાલી , કાજળ , નખ રંગવાના રંગ , ચાંદલાના તૈયાર સ્ટિકર્સ વાપરે છે , પણ ભવાઈ કલાકાર અને ખાસ કરીને આગળ પડતા કાંચળિયાનો અગત્યનો મેક - અપ તેનું લાલિત્ય અને લાવણ્ય છે . હજુયે એવા સ્ત્રી – પાત્ર કરનાર ભવાઈ કલાકારો છે કે તેને સ્ત્રી - પાત્રમાં જોઈને તેના લાવણ્યથી ભવાયાની પરકાયાપ્રવેશની સિદ્ધિની ઝાંખી થાય છે .



સંકલન- પૈજા તુષારભાઈ(વ્યાસ)

મોરબી,ગુજરાત

8780202694

દરબાર બંધુક લઈને ને મંગળરાજ ના પાત્ર ને ભડાકે દેવા ઉભા થઇ ગયા

 વરસો પહેલા ની વાત,,,,, 

પડધરી તાબા ના વિસામણ ગામ માં આરાસુરી લોક ભવાઇ મંડળ (નાના રામપર ) નો ભવાઇ કાર્યક્રમ હતો,

               જે માં ગામ લોકો ની માંગણી મુજબ જય ચિતોડ નાટક ભજવવા નુ નક્કી કરવા માં આવ્યું 

                             જય ચિતોડ નાટક  માં સુખદેવભાઇ ( નાના રામપર હાલ,,, ધ્રુવનગર )દ્રારા  મંગળરાજ ના પાત્ર ની  એટલી હદે ઓરીજનલીટી સાથે ક્રૂરતા બતાવવા માં આવેલ જે  ગામ ના એક દરબાર ને વાસ્તવિક ચિત્ર પ્રસ્થાપિત હોય એવું ચિત્ર ખડું કરી દીધું એવુ લાગ્યું 

                     જેસહન ન થતા  ઓરિજિનાલીટી ભજવતા ગામ ના દરબાર બંધુક લઈને ને મંગળરાજ ના પાત્ર ને ભડાકે દેવા ઉભા થઇ ગયા ત્યાં બાજુમાં બેઠેલા સરપંચ શ્રી એ દરબાર ને બથ ભરી લીધી કે બાપુ આ તો આપણા વ્યાસ  સુખદેવભાઇ છે આપણા વ્યાસ,,,,, 

બાપુ ને ખુબ પસ્તાવો થયો કે હુ અત્યાચાર સહન ન કરી શકુ અમારી હાજરી માં  સગા બાપ ઉપર અત્યાચાર કરે એવા દિકરા ને ભડાકે દેવો જોઇ એ એવુ મને લાગ્યું 

હુ ભાન ભૂલી ગયો સુખદેવભાઇ આપ તો બ્રહ્મદેવ છો પૂજનીય છો, પણ ધન્ય છે તમારી કલા ને કે અમારા જેવા વ્યક્તિ ઓ ને સીધી અસર કરે તેવી કલા પીરસો છો,,,,, 

જય હો ભવાઇ,,,, જય હો કલાકાર,,,, 


સંકલન,,, લેખક,,,,, 

રાજેશભાઇ એસ વ્યાસ,,, 

ધ્રુવનગર,,,, મોરબી

શનિવાર, 29 મે, 2021

નકલમાં ય ખુમારી ! અને અસલમાં ખુવારી

 ભવાઇ કલાકારો જુદી જુદી જાતના વેષ લઈને નાટકો કરતા હોય છે અને લોકરંજન કરીને પાઈ - પૈસો કમાતા હોય છે . આ જ એમની રોજી - રોટી ! અહીં એવા અદ્ભુત ભવાયાની સત્ય ઘટના છે , જેને વાંચતાં તમે અચંબામાં પડી જશો . આ ભવાયાએ નકલી વેષ લઈને ય વેષના અસલી સ્વરૂપને પ્રગટ કર્યું અને પોતાનું જીવન ખતમ કરી નાખ્યું ! જો નકલમાં આટલી ખુમારી પ્રજવળી શકે તો પોતાને ‘ અસલ ' કહેવડાવતા માણસોની ખુમારી તો કેવી હોય ? પણ અફસોસ ! એ અસલોની ખુમારીની તો ખુવારી જ થઈ ગઈ છે , ત્યાં શું થાય ! ] એક હતું નાનકડું ગામ . ગુલાબસિંહ બાપુ , એ ગામના ઠાકોર . નાનકડા ગામની ભોળી પ્રજાને મનોરંજન માટે બાપુ ક્યારેક કોઈ નાટક મંડળીને બોલાવતાં , તો ક્યારેક વળી ભવાયાઓને બોલાવતાં . એક દિ ' ભવાયાઓની એક ટોળી બાપુના ગામે આવી . રાત્રે ભવાઈનો કાર્યક્રમ ગોઠવાયો . ભવાયાઓના મુખીએ બાપુને આગ્રહપૂર્વક કહ્યું કે , “ આપે ભવાઈ જોવા આવવું પડશે . ” આમંત્રણનો સ્વીકાર કરીને બાપુ સમયસર રાત્રે હાજર થઈ ગયા .

રાત જામતી ગઈ . ગામના વિશાળ ચોરામાં ભેગી થયેલી જંગી માનવમેદની સમક્ષ એકેકથી ચડે તેવાં વેષ લઈને ભવાઈ ભજવાવા લાગી . ઘણી જાતના વેષ મુખીએ ભજવ્યા . બાપુ તો ખુશખુશાલ થઈ ગયા . મુખી જઈને બાપુના પગમાં પડ્યો . તે વખતે બાપુએ તેને કહ્યું , “ તેં ઘણા વેશ ભજવ્યા , પણ હવે સિંહનો વેષ ભજવ . મારે એ ભવાઈ ખાસ જોવી છે . ” બાપુને સલામ કરીને મુખી નેપથ્યમાં ચાલી ગયો . થોડી વારમાં જ આબેહૂબ સિંહ બનીને ગર્જના કરતો , પૂંછડી પછાડતો અને માથું ધુણાવતો મંચ ઉપર આવીને વચ્ચોવચ્ચ બેસી ગયો . ચારે બાજુ આંખો ઘમાવવા લાગ્યો . ક્ષણભર તો પ્રેક્ષકો ગભરાઈ ગયા . નાનાં બાળકો અને સ્ત્રીઓએ ચીસ નાંખી દીધી , પણ પછી સહુ સ્વસ્થ બનીને તે સિંહને જોવા લાગ્યાં . એ વખતે સિંહની નજીકમાં જ બાપુનો એકનો એક લાડકવાયો બાર વર્ષનો દીકરો બેઠો હતો . તેને કુતુહૂલ જાગ્યું અને સિંહની પાસે જઈને તેની પૂંછડી ખેંચી . અને ... ભયંકર બનાવ બની ગયો . એક જ ક્ષણમાં ભયંકર ગર્જના કરતાં ઊઠીને સિંહે તે બાળ તરફ ફરીને તેને પકડી લીધો અને ઊભો ને ઊભો ચીરી નાંખ્યો ! આખી સભામાં સન્નાટો બોલાઈ ગયો ! હાય ! આ શું બની ગયું ? બાપુ તો અવાચકું થઈ ગયા . પણ થોડી જ વારમાં તેઓ સ્વસ્થ થઈ ગયા . ભવાયા મુખીને પછીથી ભાન આવ્યું કે પોતે સિંહના વેષમાં શું કરી બેઠો ? વિષ બદલીને બાપુની પાસે દોડી જઈને તે ખૂબ રડ્યો . માફી માંગી , અને મંડળીને વિદાય થવાની રજા માંગી . પણ બાપુ હવે વેરનો બદલો લેવા માટે એક યોજના ગોઠવી ચૂક્યા હતા . કોઈને એ ભયાનક યોજનાની ગંધ પણ ન આવી જાય એવી ઠાવકાઈ સાથે બાપુએ મુખીને કહ્યું , ‘ જે કાળે જે બનવાનું હોય તે બને જ છે . મારા પુત્રના મૃત્યુની તું જરા ય ફિકર ન કરીશ . હવે આવતીકાલે આખો દિવસ મારે ત્યાં જ તું આરામ કર . પછી આવતીકાલે રાતે ફરી એક ભવાઈ કરીને તું જજે . શેની ભવાઈ કરવી ; તે હું તને કાલે રાત્રે જ જણાવીશ . ” ભોળા મુખીએ બાપુની વાતનો સ્વીકાર કર્યો . પણ એના અંતરમાં બની ગયેલી ઘટનાએ જબ્બર આઘાત લગાવી દીધો હતો .

બીજા દિવસે રાતે બાપુએ મુખીને સતી સ્ત્રીનો પાઠ ભજવવાનું કહ્યું . નેપથ્યમાં જઈને મુખીએ પતિ સાથે ચિતામાં બળી મરવા તૈયાર થયેલી રણચંડી દેખાતી સ્ત્રીનું રૂપ લીધું અને મંચ પર આવી ગયો . આગળ મડદું લઈને ડાઘઓ ચાલે છે . રામ બોલો ભાઈ ! રામ .... સહુ તાલબદ્ધ રીતે બોલે છે . પાછળ સતી થવા નીકળેલી સ્ત્રી ચાલે છે . થોડી જ વારમાં ચંદનકાષ્ઠની ચિતા ખડકાઈ . ડબ્બા ભરીને ઘી નખાયું . ચિતા ભડભડ જલી ઊઠી . પ્રેક્ષકો ચિત્કાર પાડી ઊઠ્યા . બાપુના પેટનું પાપ હવે સહુને દેખાવા લાગ્યું પણ તે માટે પ્રેક્ષકો કાંઈક કરવા જાય ત્યાં તો મુખી ( સતી સ્ત્રીના સ્વરૂપમાં ) જલતી ચિતા ઉપર ચડી ગયો અને થોડી જ પળમાં ભડથું થઈને બળી ગયો ! સહુ રડતા હતા , પણ ત્યારે બાપુ તો મૂછમાં હસતા હતા .

    કારણ કે  એક ભવાઇ કલાકાર પોતાની કલા માં કેટલો ઓતપ્રોત થઇ જાય છે તેનું પ્રમાણ બાપુ એ જાતે મેળવ્યું,

      કલાકાર કલા ની ખુમારી માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરતા પણ ખચકાતો નથી પછી પાત્ર કોઇપણ હોય,

                     કલાકાર માં કેટલા પ્રકારની કલા સમાયેલી છે તેના અનેક પ્રત્યક્ષ પુરાવા ઓ જાણવા મળ્યા, જે કલાકાર કલા માં હસાવી શકે એજ કલાકાર ચોધાર આસું એ રડાવી પણ શકે,

       જે કલાકાર કલા ખાતર પ્રાણ આપી શકે તે કલા ની ખુમારી ખાતર અને જાહેર જનતા ના હિત માટે પ્રાણ લઇ પણ શકે આવી કલા અને કલાકાર નિહાળી ને બાપુ  ખુબ વિષ્મય પામ્યા .

લેખક- પંડિત ચંદ્રશેખર વિજયજી



શુક્રવાર, 28 મે, 2021

લોક ભવાઈ માં સત્ય ઘટના નો પ્રસંગ

 લોક ભવાઈ માં સત્ય ઘટના નો પ્રસંગ,,,,,, 

મામા સાહેબ ની માયાનગરી માં ભજવી ભવાઈ 

                             સૌરાષ્ટ્ર માં મોરબી થી  રાજકોટ તરફ જતા હાઇવે ઉપર લજાઈ અને ધ્રુવ નગર ગામ વચ્ચે તેરનાળા પાસે જીવામામા ની જગ્યા આવેલ છે 

               જીવા મામા વાલ્મિકી  સમાજ નો અમર ઇતિહાસ સમી આ જગ્યા માં આજે પણ લોકો ખુબ જ઼ શ્રદ્ધા અને ભાવ થી લોકો દર્શન કરવા આવે છે 

            વડીલો પાસે થી જાણવા મળેલ ઇતિહાસ મુજબ ગાયો ની  વ્હારે ચડેલા જીવા મામા ના શરીર ના અંગો અલગ અલગ ત્રણ જગ્યા એ પડ્યા અને એ આજે પણ મોજુદ છે 

        યુદ્ધ માં ખુમારી બતાવતા બતાવતા તેમનો એક હાથ ટંકારા ગામ ના ઉગમણા ઝાંપે, અને માથું ધ્રુવનગર ગામ પાસે જ્યાં હાલ જગ્યા મોજુદ છે અને આજે પૂજાય છે ત્યાં માથું વઢાય ગયા પછી એમનું ધડ લડતા લડતા ધ્રુવનગર ગામ થી અઢી કિલોમીટર દૂર ચાર ગામ ની સિમ એટલે કે  હડમતીયા ગામ ની સીમ માં પડેલ જ્યાં પણ આજે જીવા મામા પૂજાય છે

       વર્ષો પહેલા નો બનાવ છે મચ્છુ કાંઠા વિસ્તાર નું હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ તેમના વ્યવસાય અર્થે લજાઈ ગામ માં ભવાઈ નો પ્રોગ્રામ કરવા આવેલ અને ગામ માં અઘટિત બનાવ બન્યો 

   પહેલા ના જમાના માં ખેતી કુવા ના પાણી પર આધારિત હતી અને કુવા માં થી કોહ દ્વારા પાણી ઉપાડવા માં આવતું 

          હવેં ની નવી પેઢી ને કદાચ ખ્યાલ નહીં હોય કે કોહ એટલે શું  

       એ કોહ ને નાડા દ્વારા ખેંચી પાણી નું સિંચન થતું એ નાડું તૂટતાં વીસ વરસ નો પટેલ નો યુવાન કુવા માં પાડતા મૃત્યુ પામેલ અને ભવાઈ નો પ્રોગામ નહીં થઇ શકવાના કારણે ભવાઈ મંડળ બીજા ગામ તરફ પ્રયાણ કરેલ

              ઘોડા લઈ ને નીકળેલા વ્યાસજી ને રસ્તા માં એક ગામ નજરે પડે છે નાયક ને થયું ગામ તો નાનું દેખાય છે પણ કિસ્મત હોય તે મળી જશે ચાલો પૂછતાં જઈએ 

         ગામ ના ઝાંપે તપાસ કરે છે કે ભાઈ ગામ ના મોભી કોણ છે અમે વ્યાસજી છીએ, બાજુના ગામ લજાઈ માં અમારો પ્રોગ્રામ હતો પરંતુ ગામ માં અઘટિત બનાવ બનતા અમારે ગામ માં રોકાણ કરવું તે પણ વ્યાજબી ન ગણાય,

                   સાંજ નો સમય છે થોડું મોડું થઈ ગયું છે તો મુખી નું ઘર બતાવો અમારે રમત નું પૂછવું છે 

          ગામ ના કહે જીવમામા ને પુછી લો એટલે કોઈ ને પૂછવા નું રહે નહીં 

     વ્યાસજી જીવામામા ની ડેલી એ જાય છે જીવામામા વ્યાસજી ને આદર સત્કાર આપે છે અને વ્યાસજી પોતાની રજુઆત કરે છે કે મામા અમે આ માટે આવ્યા છીએ 

         જીવા મામાં કહે કાંઈ વાંધો નહીં તમારા ભાગ્ય માં હશે તે થઇ જશે,, રમી નાખો 

       રાત્રે નાટક એક નાટક પુરુ થાય છે પછી જીવામામા નાયક ને પૂછે છે કે હવેં બીજો કયો વેષ ભજવવા નો છે 

                 એ સમય માં મચ્છુ કાંઠા વિસ્તાર ના તમામ મંડળો માં એક નાટક પુરુ થાય પછીમાતાજી નો વેષ ફરજીયાત હતો

          નાયક જણાવે છે કે મામા હવેં દસ પંદર મિનિટ ના ચા પાણી ના વિરામ બાદ અમારા નિત્યક્ર્મ મુજબ માતાજી નો વેષ આવશે ત્યાર બાદ આપ કહો એ મુજબ નું નાટક ભજવીશું 

    મામા કહે માતાજી નો વેષ નહીં તમે તમારું નાટક મૂકી દયો, નાયક કહે છે મામા અમારે માતાજી નો વેષ ફરજીયાત હોય અમારે માતાજી નો વેષ તો ભજવવો પડે ત્યારે મામા કહે છે રહેવા દયો વ્યાસજી મને ઓળખે છે આ કોઈ ગામ નથી આતો મારી માયા થી બનાવેલી માયાનગરી છે જાવ ભજવો વેષ 

     આટલું બોલે છે ત્યાંતો ગામ આખું અદ્રસ્ય થાય છે બાવળ નીચે  વ્યાસજી ના ઘોડા બાંધેલા દેખાય છે વ્યાસજી બધા પણ ખુલ્લા મેદાન માં આ ચમત્કારિક બનાવ જોઈ વ્યાસ ભાઈઓ ત્યાંથી રાત્રે જ઼ નીકળી જાય છે 

               ત્યારે ધ્રુવનગર ગામ નો વસવાટ ન હતો એટલે પહેલું ગામ ટંકારા આવતું, વહેલી સવારે ટંકારા ની સીમ માં દેવીપૂજક ના લોકો પોતાના ખેતર માં બકાલું ભરતા હતા ત્યાં વ્યાસજી આવી ને સઘળી વાત કરે છે 

       દેવીપૂજક ભાઈઓ જણાવે છે કે હા ત્યાં જીવામામા જાગ્રત છે અને લોકો ના કામ પણ થાય છે 

       હાલ માં પણ કોઇપણ જાત નો તાવ હોય તો લોકો જીવામામા ની માનતા રાખે છે માનતા માં બાજરા નો રોટલો અને ડુંગળી નો દડો હાલ માં પણ અનેક લોકો માનતા એ આવે છે અને હાલ તો ખુબ જ઼ વિશાળ જગ્યા માં ખુબ જ઼ વિકાસ થયો છે ગૌશાળા પણ ચાલે છે 

    મોરબી થી રાજકોટ તરફ જતા પંદર કિલોમીટર ના અંતરે જીવામામા ની જગ્યા આવેલ છે 



સંકલન અને લેખક 

રાજેશભાઇ એસ કુકરવાડિયા

ધ્રુવનગર મોરબી

ગુરુવાર, 13 મે, 2021

ભવાઈ મંડળોની યાદી-મોરબી

 ગુજરાતના ભવાઈ મંડળોની નામાવાલી.         પ્રાચીન-અર્વાચીન

     મચ્છુકાંઠા વિસ્તારના મંડળો-  જિલ્લો-મોરબી

  1. સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા( બાબુલાલ કે.વ્યાસ તથા હરિલાલ કે.વ્યાસ)
  2. હિરજી કેશવજી ભવાઈ મંડળ- સરવડ 
  3. રાજારામભાઇ પોપટભાઇ -બિલિયા
  4. જુગતરામ મણિશંકરભાઇ તથા જ્યંતિભાઇ રતિભાઇ- વિરપરડા
  5. દેવશંકરભાઇ જવે- અમરાપર
  6. મણિલાલ જવે- મોટા ખિજડિયા
  7. કાશિરામ પ્રભાશંકર- ખાખરાળા
  8. ગૌરીશંકર ત્રિભોવનભાઇ- જીવાપર                                                                                     
  9. આરાસુરી ભવાઇ મંડળ- સ્વઃબાબુલાલ મોતિલાલ- રામપર
  10. કેશુબાપા- હડબટીયાળી
  11. લાલભાઇ વલ્લભભાઇ- સગારિયા(લતિપર)
  12. ગાંડુભાઇ તરસીભાઇ- વાંકળા
  13. હરિભાઇ મોહનભાઇ- વજેપર
  14. સામજીભગત- વિરપર
  15. અમરસીભાઇ ખોડિદાસભાઇ- ખાખરેચી
  16. મોહનલવજીભાઇ જેશંકરભાઇ- રંગપર-બેલાગામ
  17. જ્યંતિલાલ બાબુલાલ- નાની બરાર
  18. અમૃતલાલ સુંદરજી- બરવાળા
  19. બહુચર ભવાઇ મંડળ-મહેદ્રભાઇ/ પ્રફુલભાઇ/ નિલેશભાઇ- વેજલપર
  20. બજરંગ ભવાઇ મંડ્ળ-બાબુભાઇ વ્યાસ- કુંભારીયા
  21. હરિલાલ અમૃતલાલ- બરવાળા
  22. મણિભાઇ અમરશીભાઇ- ખાખરેચી
  23. ગાયત્રી લોકભવાઇ મંડળ- હસુભાઇ વ્યાસ- રોહિશાળા
  24.  ટપુભાઈ દેવજીભાઈ- બગથળા
  25. સતાધાર ભવાઈ મંડળ- બટુકભાઈ તથા નટુભાઈ- થોરાળા


નોંધ - હાલ વર્તમાનમા ચાર મંડળો ચાલુ ્છે. જેના નામ
     ૧.  સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા( બાબુલાલ કે.વ્યાસ તથા હરિલાલ કે.વ્યાસ)    
          હાલ નાયક- વિક્રમભાઇ એચ. વ્યાસ

     ૨.બહુચર ભવાઇ મંડળ-મહેદ્રભાઇ/ પ્રફુલભાઇ/ નિલેશભાઇ- વેજલપર

     ૩.બજરંગ ભવાઇ મંડ્ળ-બાબુભાઇ વ્યાસ- કુંભારીયા
     હાલ નાયક- રાજુભાઇ બી.વ્યાસ     

    ૪.   જ્યંતિલાલ બાબુલાલ- નાની બરાર
       હાલ નાયક- અમૃલલાલ જે. વ્યાસ તથા રાજુભાઇ જે. વ્યાસ

  ૫.શ્રી ગાયત્રી લોક ભવાઈ- રોહીશાળા

નાયક શ્રી હસુભાઈ વ્યાસ

શ્રી અજય ભાઈ વ્યાસ
     
           અન્ય વિસ્તારના મંડળોની યાદી
  1. કાલી કલા નાયક મંડળ- ઊંઝા
  2. અંબા મંડળ- કલ્યાણા (પાટણ)
  3. કાલિકા મંડળ- મહેસાણા
  4. રંગ મંડળ- કડી-કલ્લોલ
  5. મહાકાળી ભવાઈ મંડળ- બોટાદ
  6. શ્રી બહુચર લોક ભવાઈ મંડળ- તરવડા

         


નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...